Now Reading
Antar Yatra

Antar Yatra

ભીતર ઊતરવાનો એક ક્રમ આવો છે :
સૂત્રાનુપ્રેક્ષા, અર્થાનુપ્રેક્ષા, અનુભૂતિ.
અર્થાનુપ્રેક્ષા અનુભૂતિનું દ્વાર બની
રહેવું જોઈએ. અનુભૂતિ માટેના
માર્ગોની જ તેમાં વિચારણા થશે.

પિસ્તાલીસ આગમ ગ્રંથોમાં રહેલી ભાગવતી આજ્ઞાન
સાર, નિચોડ પૂજ્યપાદ મહોપાધ્યાયજી યશોવિજય
મહારાજાએ “શ્રીપાળ રાસ’માં શબ્દબદ્ધ કર્યો.
આગમ-નોઆગમ તણો, ભાવ તે જાણો સાચો રે;
આતમ ભાવે સ્થિર હોજો, પરભાવે મત રાચો રે…

આ સૂત્રની શબ્દાનુપ્રેક્ષા તો સ્પષ્ટ જ છે : 
આત્મભાવમાં સ્થિર થવું, પરભાવમાં ન જવું.
અર્થાનુપ્રેક્ષામાં સૂત્રના પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ વચ્ચે
કાર્ય-કારણભાવ સૌ પ્રથમ સમજાશે.
પરભાવમાં ન જવું એ સાધન છે.
સ્વભાવમાં સ્થિર થવું તે સાધ્ય છે.

થોડુંક આગળ વધીએઃ, “પરભાવમાં ન જવું’ એમ કહ્યું છે. પરદ્રવ્યોનો ઉપયોગ, સાધનામાર્ગમાં ઉપયોગી હોય તે રીતે થઈ શકશે.
હું ઘણીવાર કહેતો હોઉં છું : પ્રભુ કહે છે કે, બેટા! રોટલી-દાળનો ઉપયોગ તું કરી શકે છે, પણ રોટલી-દાળમાં ઉપયોગ (રાગાત્મક કે દ્વેષાત્મક રૂપે) તું નથી રાખી શકતો.
એવા સાધકો આજે છે, જેમને દિવસમાં પાંચ વાર ભોજન આપો તો ય જમી લે છે… અને પાંચ દિવસ ભોજન ન અપાય તો ખ્યાલ સુદ્ધાં નથી હોતો કે નથી ખાધું.

“સમાધિશતક’માં મહોપાધ્યાય શ્રી યશોવિજય મહારાજ આવા સાધકની દશાને વર્ણવતાં કહે છે :

“દેખે ભાખે આૈર કરે, જ્ઞાની સબ હી અચંભ;
વ્યવહારે વ્યવહાર સું, નિશ્ચય મેં થિર થંભ…’

ભીતર ડૂબેલ કોઈ સાધક પાસે ભક્તો આવતા હોય… પણ એ પોતાની દશામાં જ મગ્ન હોય… ક્યારેક એવા સાધકને એમનો અનુયાયી કહે કે, સાહેબ! ભક્તો આવ્યા હોય ત્યારે આપ એમની સામે જૂઓ, કંઈક બે-ચાર શબ્દો એમની સાથે બોલો તો સારું લાગે.

અને ત્યારે, પૂજ્ય જંબૂવિજય મહારાજ જેવા કોઈ સાધક કહી ઊઠે : અચ્છા, આવું કરવું પડે? તો ચાલો, કરી લઈએ. થોડુંક બોલી દઈએ. વાસક્ષેપ આપી દઈએ, આવું કરવું પડે તો કરી લઈએ… “વ્યવહારે વ્યવહાર સું, નિશ્ચય મેં થિર થંભ…’ પણ એ વખતે ય એ સાધક નિશ્ચય દશામાં ગરકાવ હોય છે. આ બધું ય ચાલ્યા કરે અને આત્મભાવમાં રમવાનું ય ચાલ્યા કરે.

તો, પરભાવમાં ન જવું એ સાધન થયું. આત્મભાવમાં જવું તે સાધ્ય.
પરભાવમાં ન જવાય એ માટે જોઈશે પ્રબળ જાગૃતિ.

ભીતરનો આનંદ જ્યારે બળુકો થઈને પ્રગટેલ હોય ત્યારે તો આ જાગૃતિ અલગ જ હોય છે પણ પ્રારંભ દશામાં પણ એ એવી તો જોઈએ જ કે પરદ્રવ્યોનો ઉપયોગ થયા કરે ત્યારે ય રાગ-દ્વેષની ધારામાં ન જવાય.

જાગૃતિ એ હશે કે પરદ્રવ્યો એ રીતે પસંદ કરાય કે એમાં રાગાદિના પ્રવેશને અવકાશ ઓછો રહે. જેમ કે રોટલી-દાળનું ભોજન, સાદાં સફેદ વસ્ત્રો.

અર્થાનુપ્રેક્ષા, આ જાગૃતિ અનુભૂતિમાં ઢળશે… પછી હશે માત્ર આત્મભાવ… બહાર જેવું કંઈ હશે જ નહીં… પરભાવ ગયો ને!

સંત નિસર્ગદત્તજીને એક મુમુક્ષુએ પૂછેલું : “અમે બહાર છીએ. આપ ભીતર છો. બહારથી અંદર આવવાનો માર્ગ બતાવો ને!’

સંતે કહેલું : “બહાર જેવું કંઈ છે જ નહીં. માર્ગની વાત ક્યાં કરો છો?’
અંંતઃપ્રવિષ્ટ સાધકની આ મઝાની દશા…
સૂત્રાનુપ્રેક્ષા, અર્થાનુપ્રેક્ષા… અને લો અનુભૂતિ આ રહી!

View Comments (0)

Leave a Reply

Your email address will not be published.

Scroll To Top
error: